Saturday, December 15, 2012

સ્વજન


15-16.12.2012


સ્વજનની વિદાય વેળાએ.. રચયિતા કુન્દનિકા કાપડીયા
September 24th, 2008 at 17:46
અમે મનુષ્ય છીએ ને, ભગવાન
એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,
અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.
અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય
સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ
ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે
અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.
અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે
પગ તળેથી ધરતી ફસકી પડે છે.
અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે
દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;
આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.
આ શું થયું? આ શું થઈ ગયું? – એવી મૂઢતા
                                   અમને ઘેરી વળે છે.
ભગવાન,  તમે આ શું કર્યું? – એમ વ્યાકુળતાથી અમે
                                   ચિત્કારી ઊઠીએ છીએ.
પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના
તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?
આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.
તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.
કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં
કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ
                                  ટકી રહેવાનાં નથી
તમે અમને ભાન કરાવ્યું કે
જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.
અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.
હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે
તમારે શરણે આવીએ છીએ.
આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો
અમને સમતા અને શાંતી આપો,
        ધીરજ અને શ્રદ્ધા આપો, કે
અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ
વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ
શોકને હૈયે વળગાડીને ન ફરીએ;
આંસુથી અંધારા બનેલા પથ પર
અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ
વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું
                            કેન્દ્ર શોધી કાઢીએ;
મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે
શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;
અને
પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,
ત્યારે એક અમૃતલોક એવો છે કે
જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી
એનું અમે દર્શન પામીએ, એ માટે
                  અમને બળ આપો
                       પ્રકાશ આપો
                        પ્રજ્ઞા આપો.
.
 જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
- ઇજન ધોરાજવી
નૈયા ઝુકાવી મેં........................

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
… ઝાંખો ઝાંખો દીવો

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
… ઝાંખો ઝાંખો દીવો

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
… ઝાંખો ઝાંખો દીવો

·         રડી લઉં છુ  જ્યારે હ્ર્દય પર ખૂબ ભાર લાગે છે,
નર્યા આંસુ જ મારા દર્દનો  ઉપચાર લાગે છે.
....સંકલિત
·         સ્વજનો સાથ છોડી માર્ગમાં ફંટાઇ જાયે તો,
પરાયાંને જ પોતાના બનાવીને હસી લઉં છું.
·         ....સંકલિત 
જગદીશ વ્યાસ ખૂબ નાની ઉંમરે પરદેશમાં કેન્સરની બિમારીથી મૃત્યુ પામ્યો. પ્રેમ મળ્યા પછી પણ પ્રેમને માટે ઝઝૂમતો રહ્યો. તેણે તેના અંતિમ દિવસોમાં પત્ની, પુત્ર, પુત્રીને સંબોધીને ગઝલો લખી છે. આંખ સામે મૃત્યુ છે. હજુ બાળકો સમજણા પણ નથી થયા. એ ઉમ્મરે એમને છોડીને મૃત્યુને સહજ સ્વીકારી ચૂકેલા આ કવિની ગઝલ જોઈએ.
કેન્સરના દર્દી તરીકે ચાર વર્ષના દીકરાને સંબોધન
મારી ઉપર કોપી ઊઠ્યો છે કાળ, દીકરા!
મારા વિના જ જિંદગી તું ગાળ, દીકરા!
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા!
મોટાં દુઃખોમાં એક દુઃખ છે એય પણ મને,
તારી નહીં હું લઈ શકું સંભાળ, દીકરા!
વીતે છે દિવસો કેમ એની છે મને ખબર,
તું કેમ મોટો થઈશ નાના બાળ દીકરા!
જીવન તમારાં સહુનાં સહજતાથી વીતજો,
થાશો નહીં એ કોઈ દીખર્ચાળ, દીકરા!
હું પ્રાર્થના કરું છું કે મારા ગયા પછી,
મળજો તને મળનાર સહુ હેતાળ, દીકરા!



No comments: