Wednesday, October 20, 2010

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

૧૯.૧૦.૨૦૧૦




આજે સ્વાધ્યાય ક્રાંતિ નાં પ્રણેતા પુ. દાદા નો જન્મ દીવસ .....બ્લોગ વિચાર જગત માંથી સાભાર.............પૂજ્ય દાદા ... પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે
(Source:http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87)
આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :

“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”
મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,

આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.

મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.

સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે – “Self Introduction is not our culture”.

તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.

ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – “અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.”

તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે “આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?”

માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.

“કૃષ્ણમ વંદે જગદગુરૂ”

જય યોગેશ્વર

તા. ૨૧/૮/૧૯૯૯


બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય


જગત અવાશિયા

6 comments:

KISHOR PATEL said...

hi really like this

KISHOR R PATEL

vatsalya said...

Thank you, Kishorbhai....Nirupam

Sunil said...

કેટલી સરસ વાત કરી દીધી તમે આ લેખને અહી સ્થાન આપીને!
આજે પૂજ્ય દાદાનો "નિર્વાણદિન" છે. તબિયતને લીધે આજે કામ પર જઈ શક્યો નથી. Google -દેવ ની કૃપાથી, અનાયાસે જ આ લેખ મળી ગયો, ને વાંચ્યો. બસ, દિલ-દિમાગ તૃપ્ત થઇ ગયું.

દાદાએ અગણિત ભાઈઓ બહેનોની જીવનદૃષ્ટિ ખુબ સહજ રીતે બદલી છે. કશું જ નવું નથી કહ્યું અને છતાં સાચી સમજ, સાચા પ્રયોગો આપીને માનવીને માનવ
બનવાનો અભિગમ પોતાના જીવનમાં ઉતારીને બતાવ્યો.
ઈશ્વરના બનાવેલા અમૂલ્ય માનવજીવનને (સોની, લુહાર કે ચિત્રકારની જેમ) એક મોટાભાઈ બનીને સાચો ઓપ આપ્યો.
એમણે હમેશા એક જ વાત કરી: मानव जीवन मिला है तो "मानव" बनो.દાદા જે કહી ગયા તે બધું જ આપણા શાસ્ત્રોમાં હતું, છે, અને રહેશે. પણ, આજનો માનવ (મારા સહીત) જે
રીતે માનવ મટીને ફક્ત પોતાના ને પોતાના જ સ્વાર્થ માટે જીવનને પશુ સમાન જીવીને, વગર સમજે આંધળું અનુકરણ કરીને પોતાની સાથે સાથે આ પરમેશ્વરની અતિ સુંદર
સૃષ્ટિને પણ બગાડી રહ્યો છે ત્યારે જરૂર છે સાચા અભિગમની - Attitude ની.
આ સૃષ્ટિ, સૃષ્ટિના સર્જનહાર, અને એ સર્જકે બનાવેલી દરેક (સજીવ-નિર્જિવ-જાણી-અજાણી-બાહ્ય-આંતરિક) કૃતિઓને કેવી નજર, ભાવ, કે દ્રષ્ટિકોણથી જોવું, પછી કેવી સમજથી
તેનો માનવ-મુલ્યોની ઉન્નતિ ને કાજ નિસ્વાર્થભાવે ઉપયોગ કરવો તે કરી બતાવીને સમજાવ્યું. આ જ રીતે ઈશ્વર, આત્મા, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઋષિ, મન, શરીર, સૃષ્ટિ, સમાજ,
મંદિર, કુટુંબ, સંપતિ, લક્ષ્મી, વિગેરેનો સાચો અર્થ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

જયારે જયારે હું આવા સાચા માનવ ભાઈઓ-બહેનો ને જોઉં છું ત્યારે ત્યારે મારું તન-મન એ દાદાના ચરણોમાં ઝુકી જાય છે.

એક સાચો અભિગમ કે વિચાર માણસના જીવનને ખીલવી શકે છે!

vatsalya said...

પ્રિય સુનીલજી ,
આપનો ખુબ...ખુબ આભાર....જાય યોગેશ્વર ....
નિરુપમ અવાશિયા

Unknown said...
This comment has been removed by the author.
Narendra Joshi said...

જય યોગેશ્વર