Friday, June 16, 2017

બોધ કથા-૨૯...દીકરી દેજે દીનાનાથ...

                ૧૬/૦૬/૨૦૧૭....બોધ કથા-૨૯...દીકરી દેજે દીનાનાથ...
                              સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ.... 





ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવાના ગામની તપાસમાં નીકળ્યો છે. રસ્તામાં તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું, 'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'
બાઈ બોલી, 'અરે બાપુ! પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.' પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ. ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ' અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો. તેનાથી રેવાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું. તેં મને 'બાપ' કીધો. હવે તું મારી 'દીકરી' છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.
રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા. પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા. મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી! મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું?'દીકરી બોલી, 'બાપુ! દીકરીનું સાસરું બાપથી લુટાય?'‘દીકરીનું સાસરુંઆટલું સાંભળતા તો એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો. બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો. એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.'આટલું કહી તે ખૂંખાર બહારવટિયો તે ગામ છોડીને હાલી નીકળ્યો અને ત્યાર પછી તે કોઈને તે દેખાણો નથી.
મનુભાઈ ગઢવી...

સંકલિત...









No comments: