Thursday, July 13, 2017

(૫૦)..પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

૧૩/૦૭/૨૦૧૭..(૫૦)..પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ



                                  સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...
Posted On November 26, 2009 @ 7:30 am In આધ્યાત્મિક લેખ
 [1]
વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ
હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન:
સ્મૃત્યાં શિરસ્તવ નિવાસ જગત્પ્રણામે
દષ્ટિ સતાં દર્શનેડસ્તુ ભવત્તનૂનામ (ભાગવત)
હે પ્રભુ, અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો, અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો, અમારા હાથ તારાં સેવાકર્મ કરો, અમારું મન તારાં ચરણોના ચિંતનમાં રહો, અમારું શિર તારા નિવાસ-સ્થાનરૂપ જગતને પ્રણામ કરવામાં રહો, અમારી દષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.
[2]
હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં
તો તું મને એ નરકની આગમાં સળગાવી દે;
અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં
તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે;
પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ
તારી ભક્તિ કરતી હોઉં
તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી
વંચિત ન રાખીશ. (સંત રાબિયા)

[3]
પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ
એક નવા સમર્પણ માટેની
એક પૂર્ણ સમર્પણ માટેની તકરૂપ બની રહેવાં જોઈએ.
પણ એ સમર્પણમાં ઉત્સાહનો અતિરેક ન હોય,
ધાંધલ ન હોય, ક્રિયાની અતિશયતા ન હોય,
કાર્યનો આભાસ ભરેલો ન હોય.
એ એક ગહન અને શાંત સમર્પણ હશે.
એ સમર્પણે બહારથી દેખાવાની જરૂર નથી. એ તો
પ્રત્યેક ક્રિયાની અંદર પ્રવેશ કરી જશે અને તેને
પલટી નાખશે. અમારા મને એકલ અને શાંતિમય
બનીને સદાયે તારી અંદર જ નિવાસ કરવો જોઈએ.
અને એ વિશુદ્ધ શિખર પરથી તેણે જગતની
વાસ્તવિકતાઓનું બરાબર ચોક્કસ દર્શન
મેળવી લેવું જોઈએ, જગતના અસ્થિર અને
ચંચલ આભાસોની પાછળ આવેલી એકમાત્ર
અને શાશ્વત વાસ્તવિકતાને જોઈ લેવી જોઈએ.
પ્રભુ, મારું હૃદય વિશુદ્ધ બનીને કષ્ટ અને વ્યથામાંથી
મુક્ત બન્યું છે. પ્રત્યેક ચીજમાં એ તને નિહાળે છે.
અમારે માટે ભલે હવે કાંઈ પણ બાહ્ય કર્મ હો;
ભાવિમાં અમારે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાવાનું હો,
પણ હું જાણું છું કે તું જ માત્ર એક તત્વ હસ્તીમાં છે,
તારા અક્ષર શાશ્વત સ્વરૂપે
તું જ એક માત્ર સત્ય વસ્તુ છે
અને તારી અંદર અમારો વાસ છે.
આખીયે પૃથ્વી પર શાંતિ હજો. (શ્રીમાતાજી, અરવિંદ આશ્રમ)
[4]
મારી નાની-મોટી નિર્બળતા જોઈ
હું હતાશ નહિ બનું,
અને બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ
ગર્વ નહિ કરું;
પણ મારી નિર્બળતાને દૂર કરવા
પ્રયત્ન કરીશ; અને
શક્તિને પચાવી જવાની શક્તિ મેળવીશ.
સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ
સ્વાર્થની દીવાલ નહિ ચણું
અને દુ:ખના દિવસોમાં
વિશાળ હરિયાળાં મેદાનોને યાદ રાખીશ.
જગત મને જે કાંઈ આપે
તે કૃતજ્ઞભાવે ગ્રહણ કરીશ
અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ :
આજે તેં કોઈને
આનંદનો કણ આપ્યો છે કે નહિ ?
મારી આજુબાજુ ભયાનક હત્યાકાંડ
ખેલાઈ રહ્યો હોય ત્યારે પણ,
એક ઊઘડતા ફૂલને
જોવાનું હું ચૂકીશ નહીં.
મારું સઘળું છે માની, જીવનને સ્વીકારીશ :
મારું કંઈ જ નથી માની,
મૃત્યુ માટે તૈયાર રહીશ. (મકરન્દ દવે)
[5]
પરમપિતા,
તને પ્રણામ કરીને હું આજના દિવસમાં પ્રવેશ કરું છું.
મારું મન ચંચળ છે, અને
મારાં સાંસારિક કામોની જાળ અટપટી છે
આ જાળમાં સાંગોપાંગ ફસાઈ જવાથી મને બચાવજે.
નકામી વસ્તુઓની ઈચ્છા કરવામાંથી
તુચ્છ બાબતોમાં શક્તિ ને સમય વેડફવામાંથી
અર્થહીન પ્રાપ્તિ પાછળ દોટ મૂકવામાંથી
મહેનત કર્યા વિના ધન મેળવવાની લાલસામાંથી મને બચાવજે.
કોઈ જોતું નથી એ કારણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની દુર્બળતામાંથી
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે
પહેલું પગલું ભરવામાંથી મને બચાવજે.
હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઈચ્છતો નથી તેમ કહેવાના દંભમાંથી
જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે અપેક્ષા રાખવામાંથી
બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે એ માટે બહાનાં કાઢવામાંથી
બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે
આંખો બંધ કરી દેવામાંથી મને બચાવજે.
કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે
ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી
ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી
અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી મને બચાવજે.
નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી
જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્વ ચલાવવાની ઈચ્છામાંથી
પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દષ્ટિબિંદુના બેવડા ધોરણમાંથી
પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના
અને હું કેટલું માગું છું તેના ભાન વિના
તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી મને બચાવજે.
જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી
અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે
ચુપ રહેવામાંથી, મને બચાવજે.
ન ગમે કે ન સમજાય તેવી બાબતને ઝટ દઈને
બાજુ પર હડસેલી દેવાની ઉતાવળમાંથી મને બચાવજે
ક્ષુદ્ર સંતોષ અને મૂર્ખ અસંતોષથી મને બચાવજે.
હે પરમાત્મા,
મારી જ વાત સાચી એવી જીદમાંથી મને બચાવજે
હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી મને બચાવજે.
કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક વિસ્મૃતિ છે
આ આનંદ, નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે.
સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે,
તારો આભાર માની
બધાંમાંથી જાતને ખંખેરી
બધી કટુતા, ઈર્ષ્યા, રંજ, ચિંતામાંથી જાતને અળગી કરીને
તારી શાંત પ્રેમાળ ગોદમાં પોઢી જાઉં
ને બીજી સવારે નવું તાજું મન લઈને ઊઠું તેવું કરજે.
[6]
અમારી પાસે સોનુંરૂપું ને ઝવેરાત હોય
અમારો રથ સફળતાને માર્ગે રોજેરોજ આગળ જતો હોય
તેનો અર્થ એમ કરવો કે તારી અમારા પર કૃપા છે,
તે કાંઈ પૂરતું નથી.
સંસારના વ્યવહારમાં રહીને જો
મન સ્વચ્છ સરળ નિષ્કપટ રહે તો તે પણ તારી કૃપા છે.
કઠિનાઈઓમાં હૃદય આર્દ્ર રહે તે પણ તારી કૃપા છે.
નિ:સ્વાર્થપણે કોઈ સત્કૃત્ય કરવાની તક મળે, તે પણ તારી કૃપા છે.
મનમાં ઊંચા વિચારો ઊગે
મૂંગા પ્રાણીઓ અને મૂક વનસ્પતિ-સૃષ્ટિ માટે
હૃદયમાં સહજ કરુણાભાવ, પ્રેમભાવ રહે તે તારી કૃપા છે.
રસ્તે જતાં કોઈના તરફથી માયાળુ સ્મિત મળે
ખભા પર એક મૃદુ આશ્વાસનભર્યો સ્પર્શ મળે
અમારી વાતને ધ્યાનથી, સમજણથી સાંભળતા કર્ણ મળે
અમને ઉદાર વિશ્વાસુ સૂક્ષ્મદષ્ટિવાળું મન મળે તે પણ તારી કૃપા છે.
શાંત ચિત્તે અમે તારી પ્રાર્થના કરીએ ત્યારે
અમારા હૃદયનાં નાનાં નાનાં શલ્યો, ભાર ને ચિંતા
તું ઊંચકી લે છે, એ તારી કેવડી મોટી કૃપા છે, પરમ પિતા !




No comments: