Tuesday, August 14, 2012

એક કવિ આજ શબ્દસ્થ થયો....!!!!


૧૪.૦૮ ૨૦૧૨
કવિ,વિવેચક,લેખક,સાહિત્યકાર અને કૃષણ પ્રેમી શ્રી સુરેશભાઈ દલાલ જન્માષ્ટમી ને દિવસે જ (૧૦.૦૮.૨૦૧૨)કૃષ્ણમાં લીન થઇ ગયા .....શ્રધ્ધાસુમન સહ...ડો વિવેક ભાઈ ટેલરે અર્પેલ શ્રદ્ધાંજલિ અને સુરેશ ભાઈ નું જ એક કૃષ્ણ-કાવ્ય......
                                        (૧૧.૧૦.૧૯૩૨ થી ૧૦.૦૮.૨૦૧૨)
August 11, 2012 
ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગીએક તોતિંગ ગઢએક આખું આકાશગુજરાતી કવિતાના ઘરનો એક મોભીએક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની ઇમેજસુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ઇમેજબહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.
સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.
સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે
મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીંપણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા.  સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા.
એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતાઅ, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.
જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ઈમેજ પબ્લિકેશનવૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી કવિતાદ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર.
- વિવેક મનહર ટેલર
શ્યામ મારો આ કોરો કાગળ 
એમાં દોરો તમે કુંડળી 
અને કહો કે મળશું ક્યારે ? 
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ? 
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો 
તમે ઝૂલશો મારે માથે 
શરદપૂનમનું આભ થઈને 
એવું વચન તો આપો. 
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ : 
અમને કાંઈ સમજ નહીં. 
ગ્રહો વિરહના ટળશે 
એવું આશ્વાસન તો આપો. 
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર 
અને બળવાન શુક્રને કરો. 
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ? 
-
તમે અમારું ભાવિ કહેશો ક્યારે ? 
શ્યામ તમે પણ સાંચુ કહેજો 
તમને પણ અમને મળવાનું 
મન કદીયે થા'ય ખરુ કે નહીં ? 
અમે તમારી આગળપાછળ 
આમતેમ બસ ભટક્યા કરીએ 
તમને પણ ક્યાંક ઊભા રહીને 
આંખોમાં આંખો રોપીને 
માનમલાજો મર્યાદાને લોપી દઈને 
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું 
મન કદીયે થાય ખરુ કે નહીં ? 
શ્યામ તમારી સાથે મારે 
ક્યા જનમની સગાઈ થઈ છે 
ને ક્યા જનમમાં સગપણ ફળશે 
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે 
--
મને કૈં કહેશો ક્યારે ? 
--
કવિ સુરેશ દલાલ 
(ચિત્ર,લખાણ,કાવ્ય સર્વે સંકલિત....નેટ પર થી.)

No comments: